બનાસકાંઠામાં પૂર સહાયની વિગતો RTIથી માગતા તંત્ર હચમચી ગયું !

બનાસકાંઠામાં પૂર સહાયની વિગતો RTIથી માગતા તંત્ર હચમચી ગયું !
મજાકરૃપ સહાય સામે લોકોનો રોષ
અમદાવાદ, રવિવાર
બનાસકાંઠા જિલ્લામાં ગયા ચોમાસામાં આવેલી અતિવૃષ્ટિના કારણે જાન-માલ ગુમાવનારાઓને મજાક સમાન આર્થિક સહાય પૂરી પાડવાના સરકારી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે. હવે ચરમસીમારૃપ ઘટનામાં એક બે નહીં ૧૧૦૦ અસરગ્રસ્તોએ આરટીઆઈ કરીને સરકાર પાસેથી વિગતો માગતાં સ્થાનિક તંત્રને તમ્મર આવી જાય તેવી સ્થિતિ પેદા થઈ છે.
હમણાં પાંચ દિવસ પહેલાં બનાસકાંઠાના સૂઈ ગામ તાલુકાની ટીડીઓ ઓફિસમાં અસરગ્રસ્તોનાં ટોળા ઉમટયા હતા અને એક પછી એક આરટીઆઈ અરજી નોંધાવવાનું શરૃ કર્યું હતું. તંત્ર દ્વારા ઈરાદાપૂર્વક ઢીલ કરવામાં આવી છતાંય સાંજ સુધીમાં ૧૧૦૦ અરજીઓ નોંધાઈ હતી.
આવી લડાઈ શા માટે આદરવી પડી તેનો જવાબ આપતાં ગુજરાત માહિતી અધિકાર પહેલ સંસ્થાનાં અધિકૃત સૂત્રો કહે છે કે હજી બધા અસરગ્રસ્તોને સહાય મળી નથી અને જેમને મળી છે તેમને ૨૮૦૦થી ૪૦૦૦ રૃપિયાના ચેક અપાયા છે. પોતાનાં જમીન, ખેતરો અને પ્રિયજનો ગૂમાવનારા લોકોને દુ:ખ એ વાતનું છે કે સહાય ચૂકવવામાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે. વળી રતનસિંહ ચૌધરી અને હરખાભાઈ પરમાર જેવા જાગૃત નાગરિકોએ ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી તો તેમાંના રતનસિંહની હત્યા કરી દેવામાં આવી હતી.
આ લોકોના ધ્યાનમાં આવ્યું હતું કે ૨૦૦૧માં ભૂકંપમાં પડી ગયેલા મકાન પછી ગામમાં ન રહેતા હોય તેવા એક જ ઘરના ૭ થી ૮ લોકોને મકાન સહાય અપાઈ છે. આ અંગે મુખ્યમંત્રી કક્ષા સુધી ફરિયાદો થઈ પણ કંઈ પરિણામ તો ન આવ્યું પણ રતનસિંહને જાન ગુમાવવો પડયો. અન્ય જાગૃત નાગરિક હરખાભાઈ પરમારને હજી ય ધમકીઓ મળી રહી છે. ધાકધમકીનું વાતાવરણ વચ્ચે અને સહાય નહીં આપવાનું મન બનાવી બેઠેલા તંત્રને પડકારવા હવે અસરગ્રસ્તોએ આરટીઆઈનો સહારો લીધો છે અને માહિતી માગી છે.

No comments:

Post a Comment